સૂર્યપુત્ર શનિદેવ ગ્રહમંડળના સૌથી ભયપ્રદ ગ્રહ છે. સુર, અસુર દેવ, ગાંધર્વ, સ્થાવર અને જંગમ સૌ શનિદેવની વિષમ દશામાં પીડા અનુભવે છે. ભગવાન શ્રીરામ, યુધિષ્ઠિર, રાજા હરિશ્ચંદ્ર, લંકાપતિ રાવણ, વશિષ્ઠ ઋષિ, પરાશર ભગવાન, દેવરાજ ઈન્દ્ર અને ભગવાન શ્રીકૃષ્ણ જેવા મહાનુભાવો પણ શનિદેવની વિષમ પરિસ્થિતિમાં પીડા અનુભવી ચૂક્યા છે તો પછી સામાન્ય માનવીની તો વાત જ ક્યાં.
શનિદેવ આશુતોષ છે. શુભ દશામાં તે વ્યક્તિને ન્યાલ કરી દે છે. સુખ, સમૃદ્ધિ અને રાજ્ય પણ આપે છે. શનિદેવ સંઘર્ષના દેવ છે. તેમના પ્રભાવથી વ્યક્તિ સંઘર્ષ કરતી કરતી આગળ વધે છે. શનિદેવના પ્રભાવથી જે તે મનુષ્ય આદ્યાત્મિક ઉન્નતિ કરી શકે છે.
શનિદેવનું ગૌત્ર કશ્યપ છે. તે સૌરાષ્ટ્ર દેશના સ્વામી છે. તેમનો રંગ શ્યામ છે. શનિ મહારાજના અધિદેવતા યમરાજા છે. તેમના પ્રતિ અધિદેવતા પ્રજાપતિ છે. શનિ મહારાજની ઉપાસનાથી મનુષ્યની આપત્તિ અને અનિષ્ટોનું નિવારણ થાય છે. શનિ મહારાજનું વિધિથી પૂજન કરનારનું તમામ રીતે કલ્યાણ થાય છે. શનિ મહારાજના જપ ૨૩૦૦૦ કરવાથી તેઓ પ્રસન્ન થઈ જાય છે.
શાસ્ત્રો અનુસાર શ્રાવણ માસના કોઈ પણ શનિવારથી શનિદેવનું વ્રત કરી શકાય છે. તેમનું પૂજન કરવા માટે પીપળાના મૂળમાં વેદી કરવી. તેના ઉપર ધનુષ્ય જેવું મંડળ ચિતરવું. તેના પર શનિ મહારાજની લોખંડની મૂર્તિ પધરાવવી. શનિદેવની આ મૂર્તિ પીડા પર બેઠેલી. બે હાથમાં દંડ તથા પાશ ધારણ કરેલી હોવી જોઈએ. તે મૂર્તિને ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્યથી પૂજવી. તેમની પ્રાર્થના કરવી. તે પછી તેમના જપ કરવા. પીપળાની સાત પ્રદક્ષિણા કરવી. તેમની તથા પીપળામાં રહેલા ભગવાન વિષ્ણુને સાત નમસ્કાર કરવા. અડદનું ભોજન કરવું. હનુમાનજીને તેલ. અડદ તથા આકડાની માળા ચઢાવવી. સોનાની વીંટીમાં નીલમ જડાવીને પહેરવું.
શનિદેવને પ્રસન્ન કરવા અડદ, તેલ, નીલમ, કાળાં વસ્ત્ર, ભેંસ, લોખંડ વગેરે અર્પણ કરવા. શનિવારે તૈલાભ્યંગ સ્નાન કરવું. લોખંડ અથવા માટીના પાત્રમાં તેલ ભરી કાળાં વસ્ત્રનું દાન આપી શકાય.
શનિદેવના પિતા ભગવાન સૂર્યનારાયણ છે. શનિદેવનાં માતાનું નામ છાયાદેવી છે. તેમના બહેનનું નામ યમુના તથા તાપી છે. શનિદેવને તેમના પિતા સૂર્યનારાયણ સાથે બનતું નથી. બંને એકબીજાથી દૂર ભાગે છે. શનિદેવના ગુરુનું નામ ભગવાન શિવ શંકર છે. શનિદેવ કૃદ્ધ થયા ત્યારે શિવજીએ સાત દિવસ સંતાવું પડ્યું હતું. તેમની વક્ર દૃષ્ટિ થતાં ગણેશજીનું મસ્તક છેદાયું હતું. તેમનાં નેત્રનો પ્રકોપ સમતાં ગણેશજીના ધડ ઉપર શ્વેત હસ્તિનું મસ્તક લગાડવામાં આવ્યું હતું. શનિદેવને પ્રસન્ન કરવા નીચેના જાપ ૨૩૦૦૦ની સંખ્યામાં જપી શકાય.
(૧) ૐ ઐં હીં શ્રી શનૈશ્ચરાય નમઃ
(૨) ૐ શં શનૈશ્ચરાય નમઃ
(૩) ૐ નીલાંજનસમાભાસં રવિપુત્રં યમાગ્રજ્મ્
છાયા માર્તંડ સંભૂતં તં નમામિ શનૈશ્ચરમ્
ઉપરના ત્રણ મંત્રમાંથી જે મંત્ર ફાવે તે મંત્ર ૧૦૦૦ વખત જપી સિદ્ધ કરી લેવો. તે પછી એ મંત્રના ૨૩૦૦૦ જપ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.
Leave a comment